તળાજાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરના અભાવે દર્દીઓ રઝળ્યા હતા. તળાજા સરકારી હોસ્પિટલમાં એકમાત્ર એમ.બી.બી.એલ. કક્ષાના ડોક્ટર છે જેઓ ઓપીડી, ઈમર્જન્સી કેસ અને પોસ્ટમોર્ટમની કામગીરીની સાથે સુપ્રિટેન્ડન્ટ હોવાથી વહીવટી કામગીરી પણ સંભાળે છે. જેઓ કોર્ટની મુદ્દતે ગયા હતા અને તેમના સ્થાને ડેપ્યુટેશન પર મુકવામાં આવેલા તબીબ હાજર નહી થતાં દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા હતા.
તળાજાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાંક સમયથી એકમાત્ર એમબીબીએસ કક્ષાના ડોક્ટરથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. મળતી વિગતો અનુસાર સરકારી હોસ્પિટલમાં એકમાત્ર ડો.સાકીયા છે જેઓ ઓપીડી, ઈમર્જન્સી કેસ અને પોસ્ટમોર્ટમની કામગીરીની સાથે સુપ્રિટેન્ડન્ટ હોવાથી વહીવટી કામગીરી પણ સંભાળે છે. તેઓને કોર્ટની તારીખ હોવાથી હાજર રહેવાના નહોતા અને તેમના સ્થાને જે તબીબીને ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા તેઓ હાજર નહી થતાં ઓપીડીમાં આવેલા ૧૦૦થી વધારે દર્દીઓ અને પ્રસવ માટે આવેલ બે મહિલાઓને રઝળવું પડયું હતું. સ્થાનિક લોકોએ જિલ્લા કક્ષાએ રજૂઆત કરતા ઓપીડી પૂર્ણ થવાના અડધો કલાક પહેલા ડોક્ટર પહોંચ્યા હતા. ડોક્ટર નહી હોવાના કારણે મોટા ભાગના દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આરોગ્ય વિભાગની આ બેદરકારીના લીધે લોકો હેરાન થયા હતા.




