ઉપલેટામાં સગીર સાથે દૂષ્કર્મ આચરી ગર્ભ રાખી દઈ દયનીય સ્થિતિમાં મૂકી દેતાં કસુરવાન આરોપી ઇમરાન યુનુસ (ઉ.વ.૨૪., રહે.રાજકોટ)ને દુષ્કર્મના કેસમાં ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે ૨૦ વર્ષની સજા તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાયો છે. કેસની વિગત એવી છે કે ઉપલેટામાં એક સગીરા ઉપર જુદી જુદી બે વ્યકિતએ જુદા જુદા સમયે દૂષ્કર્મ આચરી દયનીય સ્થિતિમાં મૂકી દીધી હતી. પ્રથમ ઈકબાલ કાલિયા મેમણ નામનો ઉપલેટાનો શખ્સ સગીરા સાથે બાળાની ૧૩ વર્ષની ઉંમર હતી ત્યારથી અવારનવાર દુષ્કર્મ કરતો હતો. આ બનાવમાં બે વખત ગર્ભપાત પણ કરાવેલો હતો.
જે અંગે ધોરાજી સેશન્સ કોર્ટમાં કેસ રજિસ્ટર થયેલો હતો અને તેને જીંદગીના અંતિમ શ્વાસ સુધી યાને કે આજીવન કેદની સજા થઈ હતી. એ પછી અગાઉ ભોગ બનનાર આ બાળાને હાલના આરોપી ઇમરાન યુનુસ સજ્જાત પોતાની સાથે લઈ ગયેલો હતો અને આશરો આપ્યો હતો અને બાળા ૧૮ વર્ષથી નાની અને સગીરા હોવાની માહિતી હોવા છતાં વારંવાર દુષ્કર્મ કર્યું હતું. તેના પરિણામે ભોગ બનનાર બાળાને એક મૃત બાળકનો જન્મ થયો હતો. તેની દફનવિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં કરેલી હતી. ત્યારબાદ આજીવન કેદની સજામાં રહેલા અગાઉના આરોપી ઈકબાલ કાલિયાએ જેલમાંથી પોક્સો કોર્ટને ઉદ્દેશી એક પત્ર લખી કોગ્નિઝેબલ ઓફેન્સની માહિતી આપેલી હતી.
આ માહિતી મળ્યા બાદ તે વખતના પ્રિસાઇડિંગ ઓફિસર, ન્યાયાધીશ રાહુલકુમાર મહેશચંદ શર્માએ તપાસનો આદેશ આપેલો હતો.એ પછી ઉપલેટાના તે વખતના પી.આઇ કે.કે.જાડેજા એ તપાસ કરાવેલી હતી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કબર ખોદી અને બાળકનું કંકાલ મેળવેલું હતું. જેના ડીએનએ ટેસ્ટ થતાં તે પોઝિટિવ આવેલું હતું. બાદમાં ચાર્જશીટ કરવામાં આવેલું હતું. આરોપી ઈમરાન વિરુદ્ધ ચાર્જ ફ્રેમ થતા ગુનો નોંધાયેલો હતો અને સાયન્ટિફિટ પુરાવાઓ ધ્યાને લેવામાં આવેલા હતા. ભોગ બનનારે પોતાની જુબાનીમાં જણાવેલ હતું કે ઈકબાલ કાલિયા મેમણના સગા ઇમરાન યુનુસ સાથે મુલાકાત થયેલી હતી અને તેમની સાથે રહેતા હતા.
ભોગ બનનારી બાળાએ વિશેષમાં એવું પણ જણાવેલ કે ઇમરાન સાથેના સંબંધના લીધે તેણીને એક મૃત બાળકનો જન્મ થયેલો હતો અને તે ઉપલેટા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવલું હતું. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાતકેય પારેખે દલીલ કરી હતી કે આ બાળા અગાઉ દૂષ્કર્મનો ભોગ બની છે તે આરોપી પહેલેથી જાણતો હતો આ કેસ રજીસ્ટર થયા બાદ અદાલતે ભોગ બનનાર બાળાની મરજી પૂછતા તેણી સેલ્ટર હોમમાં જવાની મરજી દર્શાવતા કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં લઈ જઈ અને ત્યાં જ રાખવામાં આવેલી હતી. આ બાળા સાથે અગાઉના આરોપી ઈકબાલ કાલીયાના દુષ્કર્માના લીધે એક નાનું બાળક પણ હતું. આવી બાળાની દયનીય સ્થિતિનો દૂર ઉપયોગ આરોપીએ કરી પોતાના અંગત સ્વાર્થ માટે લીધો છે, તે હળવાશથી લઈ શકાય નહીં. બંને પક્ષની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને રાખી ધોરાજીના સેસન્સ જજ હાજી અલી હુસેન મોહીબુલા શેખે આરોપી ઇમરાન યુનુસ સજ્જાતને ૨૦ વર્ષની કેદ સજા અને ૫૦૦૦ રૂપિયા દંડ ફટકારેલ છે.




