સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આજે વ્યારા નગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. આ રેલીમાં વિવિધ શાળાના બાળકોએ સુંદરવેશભૂષા ધારણ કર્યા હતા તેમજ પ્રકૃતિ પ્રેમી આદિવાસી સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવતી ટુકડીએ પણ નગરજનોને વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા હતાં. આ કાર્યક્રમમાં આશરે ૨૫૦૦થી વધુની જનમેદની ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાઈ હતી.
બેન્ડની સુમધુર સુરાવલી સાથે પ્રારંભાયેલી તિરંગા યાત્રા સંપન્ન થયાં બાદ સૌએ સયાજી ગ્રાઉન્ડ ખાતે સામૂહિક રાષ્ટ્રગાન ગાયું હતું. ઉપરાંત, તિરંગાની ગરિમા જાળવવા અંગે સામુહિક શપથ ગ્રહણ કર્યા હતા. આ યાત્રા વ્યારાનગરના સયાજી ગ્રાઉન્ડ ખાતેથી નીકળી સુરતી બજાર, રામા રીજન્સી, જૂના બસ સ્ટેન્ડ થઈને ફરી સયાજી ગ્રાઉન્ડ પરત પરત ફરી હતી. આ ભવ્ય તિરંગા યાત્રા થકી વ્યારા નગર સહીત તાપી જિલ્લાનું વાતાવરણ દેશ પ્રેમમાં રંગાઈ ગયું હતું. આઝાદીની ઉજવણીને યાદગાર બનાવવા તેમજ લોકોમાં દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનો પણ સહભાગી થાય હતા.
મુખ્યમાર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો તથા હોમગાર્ડ જવાનો સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ ઉચ્ચારેલા દેશભક્તિના નારાઓથી વ્યારાનગરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા. આ ભવ્ય યાત્રામાં જિલ્લાના પોલીસ વડા રાહુલ પટેલ, નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડ, વ્યારા નગરપાલિકા પ્રમુખ રીતેશ ઉપાધ્યાય, વ્યારા પ્રાંત અધિકારીશ્રી, વ્યારા ચીફ ઓફીસર વંદના ડોબરીયા, સંગઠનના હોદ્દેદારો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મીઓ, નાગરિકો હાથમાં તિરંગા લઇ ભવ્ય તિરંગા યાત્રામાં હર્ષ ઉલ્લાસથી જોડાયા હતા.




