વલસાડનાં કપરાડાનાં માંડવા ગામેથી ગત તારીખ ૦૧-૦૩-૨૫ નારોજ પસાર થઈ રહેલા કોઈક અજાણ્યા વાહનના ચાલકે તે સમયે રોડ પરથી પસાર થઈ રહેલા અંદાજિત ૪૦થી ૪૫ વર્ષના અજાણ્યા રાહદારીને અડફેટે લઈએ અકસ્માત સજર્યો હતો. આ અકસ્માતમાં અજાણ્યા રાહદારીને ગંભીર ઈજા થઈ હતી. 
બંગાળી અને મરાઠી ભાષા બોલતા ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે નાનાપોંઢા સી.એચ.સી.માં અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં અને છેવટે સુરતની સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું બુધવારે સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતના બીજા બનાવની વિગતો મુજબ અબ્રામા વિસ્તારની મણીબાગ સોસાયટીમાં આવેલ મધુર ટ્વિન્સ એપાર્ટમેન્ટમાં રહેતા કલ્પેશભાઈ મુલચંદભાઈ કનોજિયા બુધવારે સાંજે બાઈક લઈને અબામા ગિરિરાજ હોટલ સામે આવેલી ડી-માર્ટ મોલમાં સામાનની ખરીદી કરવા ગયા હતા. સામાનની ખરીદી કર્યા બાદ કલ્પેશભાઈ પરત આવી રહ્યા હતા. તે સમયે હાઈવેના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી અસે.ટી. બસના ચાલકે કલ્પેશની બાઇકને અડફેટે લઈ અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં કલ્પેશભાઈને ગંભીર ઈજા થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.



