સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓની રજૂઆતોનો સમયમર્યાદામાં નિકાલ કરવા કલેક્ટરશ્રીએ સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અખબારી ધર્મ ભૂલીને બની બેઠેલા કહેવાતા સેંકડો પત્રકારો ઉદ્યોગકારો, વ્યાપારીઓ, આમલોકોને ધાકધમકી આપીને ખંડણી ઉઘરાવી રહ્યા છે. 
આવા પત્રકારોના કારણે મીડિયા જગતની છબી ખરાબ થઇ રહી છે તેમજ સમાજ અને સરકાર વચ્ચે જનજાગૃત્તિનો સેતુ બનનાર સાચા પત્રકારોને સહન કરવું પડે છે એમ જણાવી પત્રકારત્વના નામે ઉઘરાણું કરતા અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે સંદર્ભે પોલીસ અધિકારીએ તાજેતરમાં લેવામાં આવેલા પગલાઓની વિગતો આપી હતી. ધારાસભ્યશ્રીએ પત્રકારોના અખબારના રજિસ્ટ્રેશન રદ્દ કરવા સહિતની નક્કર કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલે સાઉથ ઝોન (ઉધના)માં પાંડેસરાની અંબિકાનગર સોસાયટીમાં આંતરિક રસ્તાઓ બનાવવા માટે આ સોસાયટીએ મનપામાં અરજી કરી છે, જે અંગે આ અંબિકાનગરને રસ્તાની સુવિધા આપવા અંગે રજૂઆત કરી હતી. મેયરશ્રી દક્ષેશ માવાણીએ કતારગામના સિંગણપોર તાપી નદીના પાળા પર ગેરકાયદેસર ઝુંપડાઓના દબાણો હટાવવા રજૂઆત કરી હતી.




