ઉત્તરપ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પવનને કારણે અલગ અલગ ઘટનાઓમાં કુલ ૧૫ લોકોનાં મોત થયા છે. વરસાદને કારણે વૃક્ષો ધરાશયી થવા, મિલકતોને નુકસાન થવું અને ફેકટરીમાં આગ લાગવાની ઘટનાઓ જોવા મળી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આંધી અને વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો અને ખેતીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મેરઠમાં વરસાદ આધારિત ઘટનાઓમાં એક ડોકટર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને અન્ય આઠ લોકો ઘાયલ થયા છે.
દેવબંધના એસડીએમ યુવરાજ સિંહે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારજનો અને ઘાયલોને સરકારી સહાયની ખાતરી આપી હતી. બદાયુંમાં એક ઓઇલ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. 
ગૌતમબુદ્ધ નગર જિલ્લા, નોઇડા અને ગ્રેટર નોઇડામાં ભારે વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત થયા છે. ગ્રેટર નોઇડામાં ૨૧ માળની ઇમારતમાંથી ગ્રીલ પડતા ૬૦ વર્ષીય મહિલા અને તેના ચાર વર્ષનાં પૌત્રનું મોત થયું છે. રાજસ્થાનમાં તીવ્ર ગરમી પડવાનું ચાલુ રહ્યું છે. શ્રી ગંગાનગરમાં સૌથી વધુ ૪૭.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. બિકાનેરમાં ૪૬.૬ ડિગ્રી, સાંગૈરિયામાં ૪૬.૫ ડિગ્રી, ચુરુમાં ૪૬.૧ અને જૈસલમાં ૪૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. દિલ્હીમાં આંધી, તોફાન અને ભારે વરસાદથી ઉંચાઇવાળા વિસ્તારોમાં ફરકાવવામાં આવેલા ૨૦૦થી વધુ રાષ્ટ્રીય ધ્વજોને નુકસાન થયું છે. રાજધાનીમાં ૫૦૦થી વધુ ઉચાઇવાળા વિસ્તારોમાં ફરકાવવામાં આવેલા રાષ્ટ્રીય ધ્વજોની સારસંભાળ માટે એક ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવશે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૮ મેથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.



