આણંદનાં બોરસદ તાલુકાનાં ઝારોલા ગામનાં સીમમાં ૧૭ વર્ષીય સગીર ઉપર વીજળી પડતા દાઝી જવાના કારણે તેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી હળવા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ચાલુ વર્ષે જિલ્લાના બોરસદ તથા પેટલાદ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. 
જિલ્લાનાં બોરસદ તાલુકાનાં ઝારોલા પંથકમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. દરમિયાન ઝારોલા સીમમાં આવેલ ખેતરમાં ૧૭ વર્ષીય દીક્ષિત અશ્વિનભાઈ પરમાર ગયો હતો. ત્યારે અચાનક વીજળી પડતા દીક્ષિત શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર અર્થે તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, દાઝી જવાના કારણે તેનું કરુણ મોત થયું હતું. ૧૭ વર્ષીય માસુમ કિશોરનું વીજળી પડવાના કારણે મોત થતા સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.



