ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રૂપની પોન્ઝી સ્કીમ ચલાવી 6,000 કરોડનું કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલાએ ગુજરાત હાઇ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂરી આપી હતી. જેથી હવે ભૂપેન્દ્ર સિંહ ઝાલા 8 મહિને જેલમાંથી બહાર આવશે.
હાઇ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટને આપવામાં આવેલી બાંહેધરી મુજબ, તેણે જીપીઆઇડી કોર્ટ સમક્ષ 5 કરોડ જમા કરાવી દીધા છે.રોકાણકારોને પૈસા પરત આપવા માટે પણ પહેલા મહિને એક કરોડ, બીજા મહિને બે કરોડ, ત્રીજા મહિને ત્રણ કરોડ અને બાકીની રકમ સરખા નવ હપ્તામાં જમા કરાવવામાં આવશે. તમામ રોકાણકારોને રકમ એક વર્ષમાં ચૂકવી દેવામાં આવશે.સમગ્ર મામલામાં ભૂપેન્દ્ર સિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણાં કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હતું.સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર સિંહ ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પૂરતું જ નાણા ધીરનારનું લાયસન્સ છે.તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું અને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી હતી.જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર સિંહે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે.
બીઝેડ ફાઇનાન્સની વેબસાઇટ મુજબ બીઝેડમાં 11,232 રોકાણકારો છે, જેઓએ 422.96 કરોડનું રોકાણ કર્યું છે. તે રોકાણકારોને મહિને ત્રણ ટકા વ્યાજની લાલચ આપતો હતો.આરોપીએ કરેલા રોકડ વ્યવહારોની તપાસ જરૂરી છે. બીઝેડના એજન્ટોને માર્કેટિંગ ચેઇન મુજબ 1 ટકા, 0.50 ટકા, 0.25 ટકા, 0.10 ટકા મુજબ અનુક્રમે કમિશન મળતું હતું.આ કેસમાં કેટલા એજન્ટ છે અને તેમની વિરુદ્ધ પુરાવા મેળવવા તપાસ કરવાની બાકી છે. આરોપીના લેપટોપ ટેલીમાં હિસાબો રહેતા હતા, તે કબ્જે કરવાનું અને હિસાબોનો તાળો મેળવવાનો બાકી છે.આરોપીએ 300 અને 100 રૂપિયાનાં સ્ટેમ્પનું ફ્રેંકિંગ મોડાસા નાગરિક સહકારી બેંક અને સર્વોદય નાગરિક બેંકમાં કરાવી, કુલ 12,518 સ્ટેમ્પ ખરીધા હતા.વેબસાઈટમાં મળેલા 11,232 રોકાણકારો પૈકી 1286 રોકાણકારોની એન્ટ્રી મળી નથી. આરોપી એક રોકાણકાર પાસેથી વધુમાં વધુ 6 કરોડનું રોકાણ લેતો હતો.


