ગુજરાતમાં સામાજિક પરિવર્તનનો પવન ફૂંકાયો હોય તેમ લાગે છે. વિવિધ સમાજો વિવિધ પ્રકારની જાહેરાત કરી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં વધુ એક સમાજે બીજા બાળકના જન્મ પર રૂપિયા 25 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.
મળતી વિગત પ્રમાણે, રબારી સમાજ, પાટીદાર સમાજ, ચૌધરી સમાજ, ઠાકોર સમાજ બાદ હવે વિશ્વકર્મા સમાજ દ્વારા પણ અનોખી પહેલ કરવામાં આવી હતી.પાટણવાડા અને બાવીસી પંચાલ સમાજના આગેવાનોને મહાસંમેલનમાં ‘એક બાળકની માનસિકતા’ સામે ચિંતા વ્યક્ત કરીને બીજું સંતાન લાવનાર દંપતી માટે મોટી જાહેરાત કરી હતી.વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના યોજાયેલા સંમેલનમાં પાટણવાડા અને બાવીસી પંચાલ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે સમાજમાં ઘટતી જતી વસ્તી અને ‘એક બાળકની માનસિકતા’ સામે લાલબત્તી કરીને મુદ્દો મૂકવામાં આવ્યો છે. તેમજ તેના ઉકેલ રૂપે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી.વિશ્વકર્મા સમાજ દ્વારા જાહેરાત કરાઈ કે, સમાજમં બીજું સંતાન લાવનાર દંપતીને માતાના નામે 25000 રૂપિયાનો ચેક આપવામાં આવશે . સમાજના આગેવાને જણાવ્યું કે, પ્રથમ બાળકની સુરક્ષા અને ભવિષ્ય માટે બીજું બાળક જરૂરી છે. સંતાનને ભાઈ કે બહેનનું સાથ-સહકાર મળે અને માતા-પિતાનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે વસ્તી સંતુલન જરૂરી છે. તેથી આ જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત મહાસંમેલનમાં સંયુક્ત પરિવારમાં રહેતી બહેનોનું વિશેષ સન્માન કરાયું હતું.



