કેરળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજકારણ ગરમાયુ છે. જેમાં કેરળની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અનેક મુદ્દાઓ પર કેરળની વિજયન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે તિરુવનંતપુરમમાં કેરળ કૌમુદી દ્વારા આયોજિત ન્યૂ ઇન્ડિયા, ન્યૂ કેરળ પરિષદમાં અનેક મુદ્દાઓ પ્રહાર કર્યા છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે યુપીએ સરકારે વર્ષ 2004-2014 દરમિયાન કેરળને રૂપિયા 72,000 કરોડની ફાળવણી કરી હતી. જ્યારે એનડીએ સરકારે વર્ષ 2014-2024 દરમિયાન રૂપિયા 3, 23,000 કરોડ આપ્યા હતા.તેમણે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન મોદી કેરળ વિરુદ્ધ છે. જ્યારે હકીકતમાં તેમના શાસનમાં રાજ્ય સાથે અન્યાય થયો હતો.અમિત શાહે પીએમ મોદીની નેતૃત્વ શૈલી અને વિકાસના એજન્ડા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીની પહેલને કારણે રાજકારણ કામગીરી આધારિત બની રહ્યું છે. તેમજ ફરિયાદોને બદલે ઉકેલો અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે વિકાસ અને સમાનતા માટે રાજકારણની જડતા અને ફરિયાદોથી આગળ વધવું જરૂરી છે.તેમણે કહ્યું કે રાજ્યના પીડિત લોકો હવે ચૂપ રહેશે નહીં અને લોકોને સશક્ત બનાવવું એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. અમિત શાહે પોતાના ભાષણમાં કેરળમાં રોકાણ, વિકાસ, સુરક્ષા અને રાજકીય પરિવર્તનની દિશા પર પ્રકાશ પાડ્યો. તેમણે એમ પણ કહ્યું કે એનડીએના નેતૃત્વમાં કેરળ મજબૂત વિકાસ કરી શકશે.



