રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારની તબિયત અચાનક બગડતા તેમને બારામતીથી તાત્કાલિક પુણેની પ્રસિદ્ધ રૂબી હોલ ક્લિનિકમાં ખસેડવામાં આવ્યા છે. 85 વર્ષીય વયોવૃદ્ધ નેતાને છેલ્લા કેટલાક સમયથી સતત ઉધરસ અને તાવની સમસ્યા થઈ રહી હતી. જોકે હાલ તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને રિપોર્ટ્સ આવ્યા બાદ જ નક્કી કરવામાં આવશે કે તેમને હોસ્પિટલમાં દાખલ રાખવા કે ઘરે આરામની સલાહ આપવી. શરદ પવારની નાદુરસ્ત તબિયતના સમાચાર વાયુવેગે ફેલાતા તેમના સમર્થકો ચિંતામાં છે અને હોસ્પિટલની બહાર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. 
રાજકીય નિષ્ણાતોના મતે, વધતી ઉંમરની સાથે પરિવારમાં આવેલી રાજકીય ફૂટ અને તાજેતરની કેટલીક દુઃખદ ઘટનાઓએ શરદ પવારને માનસિક રીતે પણ અસર કરી છે. ખાસ કરીને ભત્રીજા અજિત પવારના બળવા અને ત્યારબાદ તેમના નિધનના સમાચારોએ તેમને અંદરથી હચમચાવી દીધા હતા. હાલમાં તેઓ સક્રિય રાજકારણથી દૂર રહી માત્ર માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યા છે અને પાર્ટીની જવાબદારી પુત્રી સુપ્રિયા સુલે સંભાળી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે, આટલી મોટી ઉંમરે પણ શરદ પવાર પરિવાર અને પાર્ટીને ફરી એકજૂથ કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા, પરંતુ સતત વ્યસ્તતા અને માનસિક દબાણને કારણે તેમની તબિયત પર વિપરીત અસર પડી છે. હાલ ડૉક્ટરોની સ્પેશિયલ ટીમ તેમની દેખરેખ રાખી રહી છે.



