ગાંધીનગર: અમદાવાદના લીલાપુર વિસ્તારમાં આવેલી હૃદયકુંજ સોસાયટીમાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટના અંગે અડાલજ પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરવાના તેમજ છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ભુમિકાબેન (ઉં.વ. ૩૦) ના જણાવ્યા અનુસાર, ૧ એપ્રિલના રોજ રાત્રે ૯:૩૦ વાગ્યે જ્યારે તેઓ સોસાયટીમાં ફોન પર વાત કરતા ચાલતા હતા, ત્યારે પાડોશી હિરેનભાઈ સવજીભાઈ ચૌધરીએ ગાળો બોલી લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે આરોપીએ તેમની છેડતી કરી ટી-શર્ટ ફાડી નાખ્યું હતું. આ ઝઘડામાં અન્ય આરોપીઓ તુલસીભાઈ, જશુભાઈ અને શોભનાબેને પણ જોડાઈને માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
સામા પક્ષે નડિયાદ ખાતે અગ્રીકલ્ચર વિભાગમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હિરેનકુમાર ચૌધરીએ (ઉં.વ.૫૧) નોંધાવેલી ફરિયાદ મુજબ, તારીખ ૦૧/૦૪/૨૦૨૬ ના રોજ રાત્રે આશરે ૦૯:૩૦ વાગ્યે તેઓ પોતાના ઘરે બેઠા હતા. આ સમયે સોસાયટીના મેન્ટેનન્સ અને પેરાફેટ બનાવવા બાબતે ચાલી રહેલા જૂના ઝઘડાની અદાવત રાખી ભુમિકાબેને તેમના ઘર સામે આવી ગાળો આપી હતી અને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ વસંતીબેન અને ધ્રુવ પટેલે લાકડીઓ સાથે આવી હુમલો કર્યો હતો, જેમાં હિરેનભાઈ ઉપરાંત શોભનાબેન અને તેમના ભત્રીજા જ્યોતિરાદિત્યને પણ ઈજાઓ પહોંચી હતી. આ ફરિયાદ પોલીસ મથકે તારીખ ૦૩/૦૪/૨૦૨૬ ના રોજ મધ્યરાત્રિએ ૦૦:૦૫ વાગ્યે પ્રાપ્ત થઈ હતી.બંને પક્ષના ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અડાલજ પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે ગુનો દાખલ કરાયો છે.



