ગાંધીનગર: માણસાના ચરાદા ગામની એક ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જવાના મામલે માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. લાકરોડા ગામના એક યુવક સામે શંકા વ્યક્ત કરતા સગીરાના પિતાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર-માણસા તાલુકાના ચરાદા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા એક શ્રમિક પરિવારની ૧૫ વર્ષ અને ૧૦ માસની દીકરી ગત તારીખ ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં શાકભાજી લેવા નીકળી હતી. લાંબો સમય વીતવા છતાં દીકરી ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. સામાજિક બદનામીના ડરે પરિવારે પ્રાથમિક તબક્કે સગા-સંબંધીઓમાં તપાસ કરી હતી, પરંતુ દીકરીનો કોઈ પતો લાગ્યો ન હતો.
ફરિયાદીના જણાવ્યા મુજબ, અંદાજે બે માસ અગાઉ તેમની દીકરી લાકરોડા ગામના વિશાલ મફાજી મકવાણા સાથે મોબાઈલ પર વાત કરતી હોવાનું સામે આવ્યું હતું, જે બાબતે તેને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. દીકરી ગુમ થયા બાદ તપાસ કરતા વિશાલ પણ તેના ઘરે મળી આવ્યો ન હતો. આથી, આરોપી વિશાલ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવીને વાલીપણામાંથી ભગાડી ગયો હોવાનો મક્કમ આક્ષેપ પિતાએ કર્યો છે. આ ઘટના અંગે માણસા પોલીસે FIR નોંધી છે.



