નવસારીના એરુ ચાર રસ્તા પાસે ગત 24 માર્ચના રોજ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક વૃદ્ધનું ૧૧ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. આ મામલે જલાલપોર પોલીસે અજાણ્યા એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે એરુ ચાર રસ્તા પાસે આવેલી શ્રીરામનગર સોસાયટીમાં રહેતા પ્રમોદભાઈ દેસાઈ ગત 24 માર્ચના રોજ બપોરે પોતાની પ્લેઝર મોપેડ નંબર GJ-21-BA-6290 લઈને એરુ ચાર રસ્તા સત્ય સાંઈ સોસાયટીના ગેટ પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન ગાંધી બ્રીજ તરફ જતી એક સફેદ કલરની એક્ટિવાના ચાલકે પાછળથી ટક્કર મારતા પ્રમોદભાઈ રોડ પર પટકાયા હતા.
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક 108 મારફતે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શરૂઆતમાં ઈજાઓ સામાન્ય જણાતી હોવાથી પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. જોકે, માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી સારવાર દરમિયાન 4 એપ્રિલના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.મૃતકના પુત્ર જિજ્ઞેશભાઈ પ્રમોદભાઈ દેસાઈએ આ અંગે જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



