રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી પણ ઉપર નોંધાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ હવામાનમાં અચાનક મોટો પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવેલ સાત દિવસના સત્તાવાર બુલેટિન મુજબ, આગામી 22 અને 23 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અથવા વરસાદી ઝાપટાં થવાની સંભાવના છે. 
જોકે, હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આ વરસાદી માહોલ માત્ર ગણતરીના જિલ્લા પૂરતો જ સીમિત રહેશે, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ભેજ વધવાને કારણે આગામી બે દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જેમાં નવસારી, વલસાડ, તાપી અને ડાંગ તથા દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. જયારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 22 મેથી વાતાવરણ પલટાશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ અમરેલી અને ગીર સોમનાથમાં 22 મેથી જ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ભાવનગર જિલ્લામાં 23 મે’ના રોજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દીવમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.



