ઓડિશાનાં ગંજમ જિલ્લામાં ગતરોજ સર્જાયેલ એક ભયાનક માર્ગ અકસ્માતને કારણે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પુરુષોત્તમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લાડકાપલ્લી ચોક પાસે પૂરઝડપે દોડતી બસે એક ઓટો-રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા છ શ્રદ્વાળુઓનાં મોત થયા હતા. 
તે દરમિયાન પુરુષોત્તમપુર નજીક એક ઝડપી બસે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે ઘાયલ મુસાફરોને તાબડતોબ કોડાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ વધુ ત્રણ લોકોને મૃત જાહેર કરતા મૃત્યુઆંક છ પર પહોંચ્યો છે. જયારે અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને વધુ સારવાર માટે MKCG મેડિકલ કોલેજ, બહેરામપુર ખાતે રિફર કરવામાં આવ્યા છે.



