ઉચ્છલ તાલુકાના એક ગામ નજીક ઉકાઈ જળાશયના ઊંડા પાણીમાં ન્હાવા પડેલા સુરતના એક ૨૮ વર્ષીય યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
મળતી વિગતો અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પરની નંદનવન સોસાયટી (બી, ૮૦૩) માં હાલ રહેતા અને મૂળ કામરેજ તાલુકાના કોશમાડી ગામના વતની વિરાજભાઇ જયેશભાઇ પટેલ (ઉંમર વર્ષ ૨૮) પોતાના મિત્રો સાથે ઉચ્છલ વિસ્તારમાં આવ્યા હતા. ગત તારીખ ૨૭/૦૬/૨૦૨૬ ના સાંજના ૭:૩૦ વાગ્યાથી તારીખ ૨૮/૦૬/૨૦૨૬ ના સવારના ૮:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન, તેઓ જૂની થુટી દેવલપાડા ગામે ઉકાઈ જળાશયના ફુગારાના ઊંડા પાણીમાં મિત્રો સાથે ન્હાવા માટે પડ્યા હતા.
ન્હાવા દરમિયાન પાણી ઊંડું હોવાના કારણે વિરાજભાઇ પટેલ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરાતા શોધખોળ આદરવામાં આવી હતી. આજે તારીખ ૨૮/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યે મરણ જનાર વિરાજભાઇની લાશ પાણીમાંથી મળી આવી હતી.આ કરુણ ઘટના અંગે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા તેમના મિત્ર સૌરભસિંગ વિશ્વમભરસીંગ દ્વારા પોલીસને જાહેરાત આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઉચ્છલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રણજીતભાઈ ગુલાબભાઇ એ પ્રાથમિક વિગતો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસની વધુ તપાસ ઉચ્છલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. હઠીલા ચલાવી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતાં એફ.એસ.એલ. (FSL) અધિકારી અને ક્રાઈમ સીન મેનેજરને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે જાણ કરવામાં આવી છે.




