ગાંધીનગર: દિવ્યાંગજનોને રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે પ્રોત્સાહન આપી આત્મનિર્ભર બનાવવાના હેતુથી અમલમાં રહેલી ‘રાજ્ય દિવ્યાંગ પારિતોષિક યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૨૨થી ૨૦૨૪ માટેની પારિતોષિક પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિની બેઠકમાં કુલ ૨૮૯ અરજીઓની ચકાસણી બાદ ૩ કેટેગરીમાં કુલ ૩૨ પારિતોષિકોની વર્ષવાર પસંદગી કરવામાં આવી હતી.
પસંદ કરાયેલા પારિતોષિકોમાં જાહેર અને ખાનગી ક્ષેત્રના ૮ નોકરીદાતા, રોજગાર કે સ્વરોજગાર કરતા ૨૩ દિવ્યાંગજનો તથા ૧ પ્લેસમેન્ટ ઓફિસરનો સમાવેશ થાય છે. ઉત્કૃષ્ટ નોકરીદાતાઓ અને પ્લેસમેન્ટ ઓફિસરને શીલ્ડ તથા પ્રમાણપત્ર, જ્યારે રોજગાર કે સ્વરોજગાર કરતા દિવ્યાંગજનોને રૂ. ૧૦,૦૦૦નું પ્રોત્સાહન અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.
બેઠકમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સરકારી અને બિનસરકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.




