ગાંધીનગર: રાજ્યના ESIC હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો અને તેમના આશ્રિત પરિવારોને વધુ સારી અને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ૬ અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે MoU કરવામાં આવ્યા છે.
આ કરાર બાદ ગંભીર બીમારી તથા ઈમરજન્સી સહિતની જરૂરિયાતોમાં ESICના લાભાર્થીઓને સુપર સ્પેશિયાલિટી અને ટર્સરી કેરની સારવાર ઉપલબ્ધ થશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “સ્વસ્થ શ્રમિક જ મજબૂત અર્થતંત્ર અને રાષ્ટ્રનિર્માણનો આધારસ્તંભ છે.”
ESIC ગુજરાત દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩૨ આરોગ્ય સંસ્થાઓ સાથે MoU કરવામાં આવ્યા છે, જ્યારે વધુ ૪૫ હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ સાથે MoUની પ્રક્રિયા ચાલી રહી છે. આથી રાજ્યમાં શ્રમિક પરિવારો માટે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનું નેટવર્ક વધુ મજબૂત બનશે.
નવા MoUમાં ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ, સુરેન્દ્રનગરની શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ, રાજકોટની શ્રી ગિરિરાજ હોસ્પિટલ, ગોકુલ લાઇફકેર, એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ અને ડૉ. ભટ્ટ પેથોલોજી લેબોરેટરીનો સમાવેશ થાય છે.




