નવી દિલ્હી: દેશમાં H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો થતાં લોકોમાં કોરોનાની જેમ ગંભીર સ્થિતિ સર્જાવાની ચિંતા વધી છે. જોકે નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલ ભારતમાં H1N1નો કોઈ નવો સ્ટ્રેન જોવા મળ્યો નથી અને ઉપલબ્ધ વેક્સિન અસરકારક છે.
નિષ્ણાતો અનુસાર સ્વાઈન ફ્લૂ અને કોરોના બંને શ્વસનતંત્રને અસર કરતા વાયરસજન્ય રોગો છે. તાવ, ઉધરસ, નબળાઈ અને શરીરમાં દુખાવો જેવા લક્ષણો સામાન્ય છે. હાલ સ્વાઈન ફ્લૂથી કોરોના જેવી ભયજનક સ્થિતિ સર્જાવાનો કોઈ આધાર નથી. જોકે તીવ્ર તાવ અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે.
કેસોમાં વધારાને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ, જરૂરી બેડ અને દવાઓની વ્યવસ્થા સાથે મોનિટરિંગ વધારવામાં આવ્યું છે. AIIMS અને NCDC જેવી સંસ્થાઓમાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે પણ સતર્કતા વધારાઈ છે.




