Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સચિન જીઆઇડીસી ઘટના : કંપનીના મેનેજમેન્ટ સામે સરકારે પ્રાઈમાફેસી માનવ વધનો ગુનો નોંધો: કૉંગ્રેસ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઔદ્યોગિક સલામતિ મુદ્દે દુર્લક્ષ સેવતાં એથર કંપનીમાં બનેલી આવી ભયાનક વિસ્ફોટ જેવી વિનાશક ઘટના આ કંપનીના સંચાલકો અને સંબંધિત સરકારી અધિકારીઓની ઘોર બેદરકારીનું જ પરિણામ છે. કંપનીના મેનેજમેન્ટ સામે સરકારે પ્રાઈમાફેસી માનવ વધનો ગુન્હો દાખલ કરીને ભોગ બનેલ મૃતક અને ઘાયલોના પરિવારને ન્યાય આપવો જોઈએ એવી માંગણી કોંગ્રેસે કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સુરતમાં આવેલી એથર કંપનીમાં એક ભયાનક વિસ્ફોટ થયો તેમાં અનેક મજૂરો અને એન્જિનિયર્સ ઘાયલ થયાં, સાત થી વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં ત્રણ વર્ષમાં માત્ર સુરત જીલ્લામાં જ ઔદ્યોગિક દુર્ઘટનામાં ૩૦૦ જેટલા મોત થયા છે દરેક ઔદ્યોગિક દુર્ઘટના પછી સરકાર કમીટી બનાવે છે પણ એક પણ અહેવાલ જાહેર કેમ કરતી નથી ? સરકારે બનાવેલી કમીટીનો અહેવાલ, આપેલ ભલામણોનો અમલ કેમ કરવામાં આવતો નથી ?

ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીના નિયમોને અવગણવાને કારણે ગુજરાત શ્રમિકોના મોતમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવે છે જે ખુબજ ગંભીર બાબત છે. ૨૦૧૪-૨૧માં ૧૭૦૦ જેટલા શ્રમિકો મૃત્યુ પામ્યા હતા જ્યારે ૫૫૦૦ વધુ શ્રમિકો ગંભીર દુર્ઘટનામાં ઘાયલ થયા હતા.

ગુજરાતમાં ઓદ્યોગિક વિકાસના બણગા ફૂકતી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર ગણતી ભાજપ સરકારના શાસનમાં સુરત જીલ્લામાં ૩૦૩ શ્રમિકો, અમદાવાદમાં ૨૬૧ શ્રમિકો, ભરૂચમાં ૨૫૨ શ્રમિકો, વલસાડમાં ૧૫૬ શ્રમિકો અને અન્ય જિલ્લાઓમાં ૬૫૯ શ્રમિકો સાથે સમગ્ર રાજ્યમાં કુલ ૧૬૩૧ જેટલા શ્રમિકોએ છેલ્લા સાત વર્ષમાં પોતાના જીવ ગુમાવ્યા છે. જે શ્રમિકોના પરસેવાના કારણે ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે ત્યા માત્ર કહેવા પુરતી, માત્ર કાગળ ઉપર ફેક્ટરી ઈન્સ્પેક્શનની પ્રક્રિયાને કારણે અને હપ્તારાજ-ભ્રષ્ટાચારની નીતિ રીતી ને કારણે શ્રમિકોને જીવ ગુમાવવાની દુર્ઘટનાઓ બની રહી છે.