ભારતીય રિઝર્વ બેંકે KYC અપડેટ કરવાના નામે ચાલી રહેલી છેતરપિંડી મામલે નાગરિકોને ચેતવણી આપી છે. RBIનું કહેવું છે કે, હાલમાં KYC અપડેટ કરવાની આડમાં ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે. આ પ્રકારની ફરિયાદો સામે આવી છે. ત્યારે RBIએ નાગરિકોને સાવધાન રહેવા અને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તેવી રીતે કામ કરવાની સલાહ આપી છે.
RBIએ પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે, કઈ રીતે KYC અપડેટ કરવાની છે તેના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આવા કિસ્સાઓમાં ઠગો પહેલા ગ્રાહકોને ફોન કૉલ, SMS અથવા ઈમેઇલ દ્વારા મેસેજ મોકલે છે. જેના પરથી ગ્રાહકોની અંગત માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમના એકાઉન્ટની લોગિન ડિટેલ્સ પણ માંગવામાં આવે છે અથવા તેમને મેસેજ દ્વારા લિંક મોકલવામાં આવે છે અને તે અનધિકૃત અથવા અનવેરિફાઇડ એપ મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવે છે.
ગ્રાહકોએ શું કરવું જોઈએ…
- KYC અપડેટ અપડેટ માટે કહેવામાં આવે ત્યારે પહેલા સીધા તમારી બેંક અથવા નાણાકીય સંસ્થાનો સંપર્ક કરી મદદ મેળવો.
- અધિકૃત વેબસાઈટ અને સોર્સ દ્વારા જ બેંક અને નાણાકીય સંસ્થાનનો કોન્ટેક્ટ નંબર અથવા કસ્ટમર કેરમાં ફોન નંબર માંગો.
- સાયબર ફ્રોડની ઘટના બને તો તાત્કાલિક બેંક અથવા નાણાકીય સંસ્થાને જાણ કરો.
ગ્રાહકોએ શું ન કરવું…
- બેંક એકાઉન્ટની લોગિન ડિટેલ્સ, કાર્ડની જાણકારી, પિન નંબર, પાસવર્ડ, ઓટીપી કોઈની સાથે શેર ન કરો.
- KYC અપડેટ માાટે ડોક્યુમેન્ટની કોપી અપરિચિત અથવા અજાણ્યા વ્યક્તિઓ અથવા સંગઠનો સાથે શેર ન કરો.
- ચેક કર્યાની વગર અનધિકૃત વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન દ્વારા કોઈપણ સંવેદનશીલ ડેટાની જાણકારી શેર ન કરશો.
- મોબાઈલ અથવા ઈમેઈલ પર મળેલી શંકાસ્પદ અથવા અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.




