વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્યના અધ્યક્ષપદે પ્રમુખસ્વામી સભાગૃહ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ઝાડેશ્વર ભરૂચ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષપદેથી ધારાસભ્યએ જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યની ૧૮૨ વિધાનસભામાં ૧૩ હજારથી વધુ સ્વ – સહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાકીય લાભોની સહાયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું કે,વર્ષ ૨૦૧૪ માં સત્તા પર આવતા જ દેશની મહિલાઓને પ્રધાનમંત્રી જન ધન બેંક ખાતા ખોલાવીને તેમને બેંક સાથે જોડીને સમાજમાં મહિલાઓને આર્થિક રીતે ઉત્કર્ષ થાય તેવા પ્રયત્નો કર્યા હતા.વધુમાં આટલેથી ન અટકતા તેમને મહિલાઓને કેબિનેટમાં ૩૩ ટકા આરક્ષણ આપીને મહિલાઓને રાજકીય ક્ષેત્રે આગળ આવવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો તથા મિશન મંગલમ યોજનાના લાભાર્થી બહેનોએ આર્થિક રીતે પગભર થયા તે અંગેના સ્વનુભવો વર્ણવીને લોકોને સરકારશ્રી મહિલાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ મહાનુભાવોના વરદહસ્તે મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થી બહેનોને લાભોનું વિતરણ કરતા પ્રતીકાત્મક ચેકોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળ્યા હતા. નારી વંદન કાર્યક્રમમાં ભરૂચ નગર પાલિકાના મુખ્ય અધિકારી શ્રી હરીશ અગ્રવાલે નગરપાલિકા વિસ્તારમાં મહિલાઓને મળતી યોજનાકીય લાભોની વિસ્તૃત જાણકારી આપીને સ્વાગત પ્રવચન કર્યું હતુ.તથા ભરૂચ શહેરના મામલતદારશ્રીએ આભારવિધિ કરી હતી.
