રાજકોટ જિલ્લાનાં ગોંડલ નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. પુરષોત્તમ માસના પવિત્ર અવસરે ધાર્મિક પ્રવાસે નીકળેલા શ્રદ્ધાળુઓની એક ખાનગી બસ પલટી મારી જતાં પરિવારની બે મહિલાના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં બસમાં સવાર અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાંથી પાંચ લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી ગતરોજ વહેલી સવારે એક ખાનગી બસ બગદાણા, ઊંચા કોટડા, રાજપરા અને ભગુડા જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે ઉપડી હતી. તમામ પવિત્ર ધામોના દર્શન કરીને પરત ફરી રહેલી આ બસ આજે વહેલી સવારે વોરા કોટડાથી બાંદરા જવાના સિંગલ પટ્ટી રોડ પરથી પસાર થઈ રહી હતી.
આ દરમિયાન સામેથી આવી રહેલ એક ટ્રકને જગ્યા આપવા માટે બસ ચાલકે વાહનને રિવર્સમાં લીધું હતું. સિંગલ રોડ હોવાના કારણે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા જ બસ રોડ કિનારે આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સમયે બસમાં માસૂમ બાળકો, મહિલાઓ અને વયસ્ક શ્રદ્ધાળુઓ સહિત કુલ 62 મુસાફરો સવાર હતા. વહેલી સવારના અંધકારમાં અચાનક બસ પલટી જતાં મુસાફરોની ચીસાચીસથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના સ્થાનિક યુવાનો અને સેવાભાવી સંસ્થાઓ તાત્કાલિક બચાવ રાહત માટે દોડી આવ્યા હતા અને બસના કાચ તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
જોકર ઇમરજન્સી સેવાઓ અને પોલીસ સ્ટાફ પણ ત્વરિત એક્શનમાં આવ્યું હતું. 108 અને નગરપાલિકાની એમ્બ્યુલન્સો મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ પાંચ દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હતા. અકસ્માત અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી હતી.



