માંડવી-કીમ રોડ પર કાછીયાબોરી ગામની સીમમાં આવેલા વરેહ ખાડીના પુલ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર બંને ચાલકોનાં મોત નિપજ્યા હતા અને અન્ય બેને ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે માંડવી તાલુકાના સઠવાવ ગામે ભાથીજી ફળિયામાં રહેતા અંકિતભાઈ હસમુખભાઈ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પિતા હસમુખભાઈ માનિયાભાઈ ચૌધરી સોનગઢની ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. તેઓ પોતાની મારુતિ સુઝુકી અર્ટિગા ગાડી લઈને માંડવીથી આંબાપારડી તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમની કારને કીમ તરફથી પૂરઝડપે આવી રહેલી મારુતિ સુઝુકી અલ્ટો કારના ચાલક નયમેષકુમાર ઠાકોરભાઈ પટેલ (રહે. બૌધાન તા. માંડવી)એ ટક્કર મારી હતી.
અકસ્માતમાં હસમુખભાઈ ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અલ્ટો કારના ચાલક નયમેષકુમાર પટેલને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. અલ્ટોમાં સવાર તેમના પત્ની જીગીષાબેન અને પુત્ર ધ્યાનને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મૃતક હસમુખભાઈના પુત્ર અંકિતભાઈ ચૌધરીએ માંડવી પોલીસ સ્ટેશનમાં અલ્ટોના દિવંગત ચાલક નયમેષકુમાર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.



