ચોમાસા દરમિયાન ભારે વરસાદના નુકશાનના કારણે મેલેરીયા, ટાઈફોડ, કોલેરા જેવા રોગચાળો જોવા મળતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે દરેક ગામોના લોકોને પ્રાધાન્ય આપી આરોગ્યલક્ષી કામગીરીઓ હાથ ધરવામા આવી છે. નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ધ્યાને રાખીને દરેક તાલુકાઓના ગામોમાં આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો બનાવવા આવી છે. આ ટીમો થકી ગામોમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાઈ તે માટે પાણીના ટાંકીમાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
નાગરીકોને ઘર- આંગણે પીવાનું પાણી ક્લોરીનયુક્ત મળે તે માટે પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત આરોગ્યની ટીમ દ્વારા ગામના પીવાના પાણીના ટાંકામા ક્લોરીનેશન કરવામાં આવેલ છે. ઉપરાંત દવા છંટકાવ, એન્ટિલાર્વા,દવા છંટકાવ કામગીરી, બીપી ડાયાબિટીશ તપાસ, ક્લોરિન ગોળી, ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરાઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે ગામમાં કોઈ વ્યક્તિને તાવ કે ઝાડા-ઉલ્ટીની તકલીફ હોય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા આશા વર્કર-આંગાણવાડી કે ફિમેલ હેલ્થ વર્કરનો સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરી છે.




