ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પડઘા અત્યારે સોશિયલ મીડિયા પર અફવા સ્વરૂપે વધુ તીવ્રતાથી જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપ અને અન્ય પ્લેટફોર્મ પર ‘દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાવાની છે’ તેવા ખોટા સંદેશાઓ વાયરલ થતા જ ગુજરાત સહિત દેશભરના અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ સ્થિતિને પગલે કેન્દ્ર સરકાર અને અગ્રણી પેટ્રોલિયમ કંપનીઓએ સત્તાવાર સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણનો પૂરતો સ્ટોક છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.
સ્થિતિની ગંભીરતાને જોતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ જણાવ્યું હતું કે, “ભારતમાં ઊર્જાની કોઈ અછત નથી. અમારી પ્રાથમિકતા દેશના નાગરિકોને સસ્તું અને ટકાઉ ઇંધણ પૂરું પાડવાની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગમે તેવી સ્થિતિ હોય, ભારત પાસે તેનો પૂરતો બેકઅપ પ્લાન તૈયાર છે.” હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ભારત પેટ્રોલિયમ (BPCL) જેવી દિગ્ગજ કંપનીઓએ સોશિયલ મીડિયા પર વહેતા થયેલા સંદેશાઓને ‘પાયાવિહોણા’ ગણાવ્યા છે. કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે,દેશમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.આગામી દિવસોમાં પણ પુરવઠો ખોરવાય તેવી કોઈ શક્યતા નથી.દરેક નાગરિકને જરૂરિયાત મુજબ ઈંધણ મળી રહે તે માટે તંત્ર સજ્જ છે.
“કૃત્રિમ અછત” થી બચો પેટ્રોલિયમ નિષ્ણાંતોના મતે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ગભરાટમાં આવીને એકસાથે પેટ્રોલ પંપ પર પહોંચે છે, ત્યારે ‘કૃત્રિમ અછત’ (Artificial Scarcity) ઊભી થાય છે. વાસ્તવમાં જથ્થો હોવા છતાં, અચાનક વધેલી ભીડને કારણે વિતરણ વ્યવસ્થા પર દબાણ આવે છે.સામાન્ય રીતે જ્યારે પણ મિડલ ઈસ્ટમાં તણાવ વધે છે, ત્યારે તેનો ફાયદો ઉઠાવી કેટલાક તત્વો ખોટી માહિતી ફેલાવતા હોય છે. લોકો સમાચારને ટ્વિસ્ટ કરીને રજૂ કરે છે, જેનાથી સામાન્ય જનતા ગેરમાર્ગે દોરાય છે. HPCL એ ખાતરી આપી છે કે દેશભરમાં ઈંધણનો સ્ટોક સંતુલિત રાખવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે અને સરકાર દરેક નાની-મોટી હિલચાલ પર નજર રાખી રહી છે.
વાચકોને વિનંતી છે કે સોશિયલ મીડિયા પર આવતા વણચકાસાયેલા મેસેજ પર વિશ્વાસ ન કરવો અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ન કરવી. તમારી ગાડીની ટેંક ફૂલ કરાવવા માટેની આંધળી દોટ ઉલટાની મુશ્કેલી વધારી શકે છે.



