સંસદનું બજેટ સત્ર ફરી શરૂ થઈ રહ્યું છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સાંસદો અને તેમના સ્ટાફ માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સંસદની સિક્યોરિટી સર્વિસ દ્વારા જારી કરાયેલ ગાઈડલાઈન મુજબ, પાર્લિયામેન્ટ એસ્ટેટની અંદર વાહનોની ગતિ મર્યાદા ૧૦ કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.
સંસદના પ્રવેશદ્વાર પર આધુનિક સિક્યોરિટી ગેજેટ્સ લગાવવામાં આવ્યા છે.એડવાઈઝરીમાં જણાવાયું છે કે જો ગાડીની ઝડપ નિર્ધારિત મર્યાદા કરતા વધારે હશે, તો સુરક્ષા ઉપકરણો (Security Devices) આપમેળે એક્ટિવ થઈ શકે છે. આનાથી વાહનને ગંભીર નુકસાન થઈ શકે છે,કારમાં બેસેલા લોકોને ઈજા પહોંચવાની શક્યતા રહે છે,ચાલક માટે અચાનક વાહન રોકવું મુશ્કેલ બની શકે છે. સુરક્ષા વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ ગેજેટ્સ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. જો કોઈ વાહન ‘ટાયર કિલર્સ’ કે ‘રોડ બ્લોકર્સ’ સાથે અથડાય છે, તો તેનાથી મોટું નુકસાન થઈ શકે છે. જ્યાં સુધી વાહન લોખંડના દરવાજા પરના અંતિમ સિક્યોરિટી ડિવાઈસને પાર ન કરી લે, ત્યાં સુધી ઝડપ વધારવી નહીં.
એડવાઈઝરીમાં વાહન ચાલકો માટે અન્ય નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે: ‘બૂમ બેરિયર’ પાર કરતી વખતે બે વાહનો વચ્ચે ઓછામાં ઓછું પાંચ ફૂટનું અંતર રાખવું ફરજિયાત છે, કારણ કે સિસ્ટમ એક સમયે માત્ર એક જ વાહનને પસાર થવાની મંજૂરી આપે છે, જો કોઈ વાહન આકસ્મિક રીતે ‘બૂમ બેરિયર’ સાથે અથડાય, તો ડ્રાઇવરે તાત્કાલિક વાહન રોકી દેવું જોઈએ.ઉલ્લેખનીય છે કે 13 ડિસેમ્બર, 2001ના રોજ સંસદ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થાને અત્યંત ચુસ્ત બનાવવામાં આવી છે અને સમયાંતરે લેટેસ્ટ સિક્યોરિટી ગેજેટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.



