નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને એવી ક્લિનિકલ સંસ્થાઓ અને ડૉક્ટરો સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે, જેઓ વૈજ્ઞાનિક પુરાવા કે નિયમનકારી મંજૂરી વિના સ્ટેમ સેલ થેરાપીનો ઉપયોગ કરે છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ થેરાપીનો ઉપયોગ માત્ર નિર્ધારિત બીમારીઓ અને મંજૂર પ્રક્રિયા હેઠળ જ કરી શકાય છે.
ઓટિઝમ માટે સામાન્ય સારવાર તરીકે મંજૂરી નહીં : ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર માટે સ્ટેમ સેલ થેરાપી માત્ર મંજૂર ક્લિનિકલ ટ્રાયલના ભાગરૂપે જ આપી શકાય છે. સામાન્ય સારવાર તરીકે તેનો ઉપયોગ માન્ય નથી.
નિયમોનું ઉલ્લંઘન કરનાર મેડિકલ પ્રેક્ટિશનરો સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે, જ્યારે સંબંધિત ક્લિનિકલ સંસ્થાઓ સામે લાગુ કાયદા હેઠળ દંડ સહિતની કાર્યવાહી અને ગંભીર કિસ્સામાં લાઇસન્સ રદ કરવાની જોગવાઈ છે. NMCએ પણ મંજૂરી વિનાની સ્ટેમ સેલ થેરાપી લખવા, તેનો પ્રચાર કે જાહેરાત કરવા સામે ચેતવણી આપી છે.




