કાઠમંડુ: નેપાળ-તિબેટ સરહદ નજીક રસુવા વિસ્તારમાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. પૂરનાં પાણીમાં ગામો, પુલો, વાહનો અને જળવિદ્યુત પ્રોજેક્ટો વહી ગયા છે. અત્યાર સુધીમાં 95 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 463 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે.
પૂરના કારણે 13 જળવિદ્યુત પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નેપાળ સેનાએ 25 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે અને બચાવ કામગીરી માટે 15 હેલિકોપ્ટર તૈનાત કરાયા છે. ભારત-નેપાળ સરહદે SSBની 11 રેસ્ક્યૂ ટીમો તૈયાર રાખવામાં આવી છે.નેપાળ પ્રવાસન બોર્ડ મુજબ લાપતા લોકોમાં ભારતીય સહિત વિવિધ દેશોના પ્રવાસીઓ અને નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. ટૂર એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓની મદદથી લાપતા લોકોની ઓળખ અને શોધખોળ ચાલી રહી છે.
દરમિયાન, નેપાળમાં ભારે વરસાદ અને પૂર બાદ બિહારને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ગંડક નદીમાં ફ્લેશ ફ્લડની શક્યતાને પગલે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર અને વૈશાલી સહિતના જિલ્લાઓમાં તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. NDRF અને SDRFને પણ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવા આદેશ અપાયો છે.




