રાજ્યમાં ઉનાળો તેના અંતિમ તબક્કામાં હોવા છતાં કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમી અને આગામી ચોમાસાને લઈને મહત્ત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના નાગરિકોએ હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે, જોકે ત્યારબાદ તાપમાનમાં આંશિક ઘટાડો થતાં રાહત મળવાના સંકેત છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, હાલમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાઈ શકે છે. રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના મતે, હાલમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજ્ય તરફ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમની અસરને કારણે આગામી ત્રણ દિવસ પછી એટલે કે તારીખ 19મે બાદ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે, જેને પગલે લોકોને અસહ્ય બફારા અને ગરમીથી થોડી શાંતિ મળશે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આ વર્ષે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે હવામાન વિભાગે ખૂબ જ પ્રોત્સાહક આગાહી કરી છે. આ વર્ષે દેશમાં ચોમાસું તેના નિયત સમય કરતાં 5 દિવસ વહેલું સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં બેસતું ચોમાસું આ વખતે 26મી મેની આસપાસ કેરલમના દરિયા કિનારે દસ્તક આપી દેશે. કેરળમાં વહેલા આગમનને પગલે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થઈ શકે છે.



