મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર ખંડપીઠે સાત મહિનાની ગર્ભવતી પત્નીની હત્યા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી પતિની આજીવન કેદની સજા ઘટાડીને 7 વર્ષની કરી છે.
કેસ મુજબ, સપ્ટેમ્બર 2021માં છિંદવાડા જિલ્લાના ચૌરાઈ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા દરમિયાન પત્નીએ પતિને અપમાનજનક શબ્દો કહ્યા બાદ ઉશ્કેરાયેલા પતિએ નજીકમાં પડેલા પથ્થરથી હુમલો કર્યો હતો, જેમાં પત્નીનું મોત થયું હતું.હાઈકોર્ટે નોંધ્યું કે ઘટના પૂર્વ આયોજિત નહોતી, પરંતુ અચાનક અને ગંભીર ઉશ્કેરણીના કારણે બની હતી. સાથે જ આરોપીએ ઘટના બાદ પોતે જ પોલીસ અને પરિવારજનોને જાણ કરી હતી, જે તેના પૂર્વનિયોજિત ઇરાદાના અભાવ તરફ સંકેત કરે છે.
આ આધારે કોર્ટે IPCની કલમ 302 હેઠળની સજા બદલીને કલમ 304 ભાગ-2 હેઠળ ગુનો ગણાવ્યો અને આરોપીને 7 વર્ષની કેદ તથા ₹1,000 દંડની સજા ફટકારી છે. આ ચુકાદાને લઈને કાનૂની વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.




