ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાને અટકાવવા રાજ્યના આરોગ્ય વિભાગે વ્યાપક અભિયાન હાથ ધર્યું છે. 15 જૂનથી અત્યાર સુધી રાજ્યભરમાં 17 હજારથી વધુ મેડિકલ અને પેરા-મેડિકલ ટીમો કાર્યરત રહી છે. આ સમયગાળા દરમિયાન 4,655 મેડિકલ કેમ્પ યોજી 1.20 લાખથી વધુ દર્દીઓની તપાસ કરીને જરૂરી સારવાર આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગે રાજ્યભરમાં 6.91 લાખથી વધુ પાણીના નમૂનાઓનું ક્લોરીનેશન ટેસ્ટિંગ કર્યું છે તેમજ 84.38 લાખથી વધુ ક્લોરીનની ગોળીઓ અને 8.67 લાખથી વધુ ORS પેકેટ્સનું વિતરણ કર્યું છે. ઉપરાંત પીવાના પાણીની 2,500થી વધુ લીકેજવાળી પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું છે.અમદાવાદમાં 477 આરોગ્ય ટીમોએ 12,972 દર્દીઓની તપાસ કરી છે, જ્યારે સુરતમાં 12.85 લાખથી વધુ ક્લોરીન ટેબ્લેટ્સ અને 3.11 લાખથી વધુ ORS પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં 1,880 મેડિકલ કેમ્પમાં 37,943 દર્દીઓની આરોગ્ય તપાસ હાથ ધરાઈ હતી.
આરોગ્ય વિભાગે નાગરિકોને ઉકાળેલું અથવા ક્લોરીનયુક્ત શુદ્ધ પાણી પીવા અને કોઈપણ પ્રકારના રોગના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી મેડિકલ કેમ્પનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે.




