ભુજ: ગાંધીધામના જાણીતા શિપિંગ વેપારી દિલીપ મજેઠીયાના અપહરણ અને તેના દુબઈ સ્થિત ભાઈ પાસેથી રૂ. ૫.૫૫ કરોડની ખંડણી વસૂલવાના ચકચારી કેસમાં પૂર્વ કચ્છ પોલીસે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૫ આરોપીઓ ઝડપાયા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વેપારી દિલીપ મજેઠીયાના મિત્ર હર્ષ સદાદપુરીએ અપહરણનું કાવતરું ઘડી મુખ્ય આરોપી જાવેદ અભુ સાયચાને સોપારી આપી હતી. જાવેદે સોહિલ બુચડ અને રીઝવાન કીચાની મદદથી અપહરણને અંજામ આપ્યો હતો.ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસની મદદથી પૂર્વ કચ્છ પોલીસે પંજાબના ભટિંડાથી જાવેદ, સોહિલ અને રીઝવાનને ઝડપી લીધા હતા. જ્યારે ખંડણીની રકમને યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરનાર જામનગરના મુનાવર મન્સુર બુચડ અને અમદાવાદના નાગજી દેસાઈની પણ ધરપકડ કરવામાં આવી છે.પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૫૭.૫૦ લાખ રોકડા તેમજ લાખો રૂપિયાના યુએસડીટી વોલેટ ફ્રીઝ કર્યા છે. અગાઉની જપ્તી સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. ૪,૧૩,૩૧,૮૨૫ , એટલે કે ખંડણીની અંદાજે ૭૫ ટકા રકમ રિકવર કરવામાં આવી છે. ૨૧ જુલાઈના બનેલા આ બનાવની તપાસમાં પોલીસે અત્યાર સુધીમાં ૩૦ મોબાઈલ ફોન અને એક જીપ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.




