ભુજ: કંડલા બંદરેથી ત્રીજા દેશ મારફતે ભારતમાં ઘૂસાડવામાં આવેલા અંદાજે રૂ.3 કરોડના 364 મેટ્રિક ટન પાકિસ્તાની ખજૂરના જથ્થાને ડીઆરઆઈએ જપ્ત કર્યો છે. 13 કન્ટેનરમાં આવેલા આ માલને કાગળ પર યુએઈથી આયાત કરાયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
તપાસમાં જથ્થો મૂળ પાકિસ્તાનનો હોવાનું તેમજ દિલ્હીની જે કંપનીના નામે આયાત દર્શાવવામાં આવી હતી તે કથિત રીતે બોગસ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ડીઆરઆઈએ ગાંધીધામના વેપારી પવન ગોપાલની અટકાયત કરી હતી. કોર્ટમાં રજૂ કરાયા બાદ તેમને જેલહવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસ મુજબ પાકિસ્તાનના કરાચી બંદરેથી માલ દુબઈના જેબેલ અલી બંદરે લઈ જવાયો હતો અને ત્યાં કન્ટેનર તથા દસ્તાવેજોમાં ફેરફાર કરી મૂળ દેશ છુપાવી ભારત મોકલવામાં આવ્યો હતો. ડીઆરઆઈએ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.




