થાણે: વર્ષ 2016ના હત્યાના પ્રયાસના કેસમાં થાણેની અદાલતે બે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. સાક્ષીઓની જુબાનીમાં વિશ્વસનીયતાનો અભાવ, મુખ્ય સાક્ષીઓનું ફેરવી તોળવું તથા આરોપો સાબિત કરવા માટે પૂરતા સ્વતંત્ર પુરાવા રજૂ ન થવાને આધારે અદાલતે આ ચુકાદો આપ્યો હતો.
એડિશનલ સેશન્સ જજ વી. એલ. ભોસલેએ ડેવલપર મોહંમદ ખ્વાજા શેખ (25) અને ઇરફાન અબ્દુલ માજીદ ખાનને નિર્દોષ જાહેર કર્યા હતા. બંને સામે ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ), 324 (ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવી) અને 34 (સમાન ઇરાદો) ઉપરાંત ઇન્ડિયન આર્મ્સ એક્ટ તથા મહારાષ્ટ્ર પોલીસ એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધાયો હતો.તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, 25 માર્ચ, 2016ના રોજ મુંબ્રામાં સમ્રાટનગર મસ્જિદ નજીક અથડામણ થઈ હતી. આરોપીઓએ તેમના એક સગીર મિત્ર તથા ફરાર સાથીદારો સાથે મળીને ફરિયાદી સમશેર સિદ્દીકી અને તેમના પિતા અનવર સિદ્દીકી પર તલવાર, બેટ અને બાંબુ વડે હુમલો કર્યો હોવાનો આરોપ હતો.જોકે કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી સમશેર સિદ્દીકી સહિતના કેટલાક મુખ્ય સાક્ષીઓ પોતાની અગાઉની વાતથી ફરી ગયા હતા. બીજી તરફ, ઇજાગ્રસ્ત સાક્ષી અનવર સિદ્દીકીએ અદાલતમાં આરોપીઓને ઓળખ્યા હતા.ઊલટતપાસ દરમિયાન અનવર સિદ્દીકીની જુબાનીની વિશ્વસનીયતા અંગે પણ સવાલો ઊભા થયા હતા.
તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ મરાઠી વાંચી કે સમજી શકતા નથી અને પોલીસ દ્વારા લખવામાં આવતું નિવેદન તેમને સમજાતું નહોતું. તેમણે પોલીસનું નિવેદન ચકાસ્યા વિના તેના પર હસ્તાક્ષર કર્યા હોવાનું પણ જણાવ્યું હતું.અદાલતે નોંધ્યું હતું કે રજૂ કરવામાં આવેલા તબીબી પુરાવા પણ તલવાર વડે હત્યાના પ્રયાસના આરોપને પૂરતું સમર્થન આપતા નથી. આ તમામ સંજોગોને ધ્યાનમાં લેતાં ફરિયાદ પક્ષ આરોપોને શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનું માની અદાલતે બંને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.(પીટીઆઇ)




