વર્ધા જિલ્લાના હિંગણઘાટ શહેરમાં શુક્રવારે સવારે આંબેડકર શાળા નજીક ગંભીર માર્ગ અકસ્માતમાં ત્રણ સગીર વિદ્યાર્થિનીનાં મોત નીપજ્યાં હતાં. શાળાએ જતી વિદ્યાર્થિનીઓના ટૂ-વ્હીલરને પાછળથી ખાનગી બસે ટક્કર મારતાં ત્રણેયને ગંભીર ઇજાઓ થઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણેય વિદ્યાર્થિની શુક્રવારે સવારે ટૂ-વ્હીલર પર શાળાએ જઈ રહી હતી. દરમિયાન આંબેડકર શાળા નજીક પાછળથી આવેલી ખાનગી બસે તેમના ટૂ-વ્હીલરને અડફેટે લીધું હતું. અકસ્માતમાં ત્રણેય વિદ્યાર્થિની ગંભીર રીતે ઘાયલ થઈ હતી.અકસ્મતાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસે તાત્કાલિક મદદે પહોંચી ત્રણેયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં.મૃતક વિદ્યાર્થિનીઓની ઓળખ સમૃદ્ધિ રૂપક ધામસે (15), આરુહી રાજુ ચાવરે (17) અને હિસબાહ જાદેવ શેખ (17) તરીકે થઈ છે. ત્રણેય નજીકના વિસ્તારમાં રહેતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.ઘટના અંગે પોલીસે ગુનો નોંધી ખાનગી બસના ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.(પીટીઆઇ)




