બેંગલુરુ: કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની એક હોટેલમાં કૌટુંબિક વિવાદને પગલે ચોંકાવનારી ઘટના બની હતી. નાગવારા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય એસ.જી. ઈમરાન પર પોતાની બે દીકરીઓની હત્યા કરવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું કે ઈમરાને પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખી 5 વર્ષની શેખ ઝેહરા અને 10 વર્ષની શેખ ઝોયાનું ગળું દબાવી હત્યા કરી હતી.
હોટેલ સ્ટાફને રૂમમાંથી અવાજો આવતાં તપાસ કરતાં બંને બાળકી મૃત હાલતમાં મળી આવી હતી, જ્યારે ઈમરાન ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળ્યો હતો. તેણે પોતે પણ ચપ્પુ વડે ગળા પર ઈજા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાસ્થળેથી પોલીસને એક નોટ પણ મળી આવી છે, જેમાં પત્ની સાથેના કૌટુંબિક વિવાદ અને પત્નીના અન્ય સંબંધ અંગેની શંકાનો ઉલ્લેખ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. કેમ્પેગૌડા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




